મુંબઈની ઈનાયા જર્નીઝના રવિ મોદીએ 24 મે 2026ની કૈલાશ યાત્રામાં 185 શ્રદ્ધાળુઓ સાથે આચરેલો ભયંકર વિશ્વાસઘાત. હોટેલના રૂમ વિના યાત્રીઓ રઝળ્યા, પાસપોર્ટ જપ્ત કરાયા અને ચીની પોલીસે દખલ કરવી પડી. વાંચો છેતરપિંડીની સંપૂર્ણ હકીકત.

મુંબઈ, બુધવાર
હિંદુ ધર્મમાં કૈલાશ માનસરોવરની યાત્રા એ માત્ર પ્રવાસ નથી, પણ આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. લાખો રૂપિયા ખર્ચીને લોકો આ કઠિન યાત્રા પર નીકળતા હોય છે. પરંતુ જો કોઈ ટૂર ઓપરેટર તમારી આ આસ્થાનો ખુલ્લેઆમ વેપાર કરે અને તમને પારકા દેશમાં રઝળતા મૂકી દે, તો તેને શું કહેશો? આવી જ એક ભયંકર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો શિકાર 24 મે 2026ના રોજ શરૂ થયેલી કૈલાશ માનસરોવર યાત્રા (જમીન માર્ગે) નો બેચ બન્યો છે.
મુંબઈના બોરીવલી ખાતે આવેલી ઈનાયા જર્નીઝ (Inaya Journeyz) નામની ટ્રાવેલ એજન્સી ચલાવતા રવિ મોદી નામના ટૂર ઓપરેટરે 185 થી વધુ યાત્રીઓ સાથે એવો વ્યવહાર કર્યો છે, જે સાંભળીને કોઈપણ શ્રદ્ધાળુ કંપી ઉઠશે. આ યાત્રા સંપૂર્ણ રીતે એક આફત (Disaster) અને ફ્લોપ સાબિત થઈ. યાત્રીઓને ભગવાનના દર્શન કરાવવાને બદલે ઓપરેટરે તેમને પારાવાર યાતનાઓ આપી.
પૈસાની ભૂખ: વિનાશકારી સફરનું મુખ્ય કારણ
આ મહા-કૌભાંડ અને વિનાશક સફર પાછળનું એકમાત્ર કારણ હતું ટૂર ઓપરેટરનો વધુ ને વધુ નફો કમાવવાનો રાક્ષસી લોભ. પહાડી વિસ્તારોમાં કોઈપણ અનુભવી ટીમ મહત્તમ 30 થી 40 વ્યક્તિઓનું જ સંચાલન કરી શકે છે. પરંતુ રવિ મોદીએ લાલચમાં આંધળા થઈને 185 થી વધુ વ્યક્તિઓનું બુકિંગ સ્વીકારી લીધું. આટલા મોટા ગ્રુપ માટે તેમની પાસે ન તો હોટેલના બુકિંગ હતા, ન તો કોઈ આયોજન. પરિણામે માણસો સાથે ઢોર જેવો વ્યવહાર કરવામાં આવ્યો.

હોટેલના નામે છેતરપિંડી: ગંદકી, પોડ્સ અને સીનિયર સિટીઝન સાથે ક્રૂરતા
કોઈપણ યાત્રામાં બેઝિક જરૂરિયાત હોટેલ હોય છે. પરંતુ ઓપરેટર 185 લોકો માટે અગાઉથી રૂમ બુક કરવામાં જ નિષ્ફળ રહ્યો હતો, જેના કારણે ભયંકર અરાજકતા ફેલાઈ.
શ્વાસ રૂંધાય તેવા પોડ્સ (Pods): અમુક સ્થળોએ યાત્રીઓને રૂમને બદલે પોડ્સ માં રાખવામાં આવ્યા. આ પોડ્સ એટલે ટ્રેનના સેકન્ડ ટાયરના ડબ્બાના બર્થ જેવી સાંકડી જગ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે એક માણસની જગ્યામાં બે યાત્રીઓને સૂવા મજબૂર કરાયા. જો વ્યક્તિ પાતળી ન હોય, તો ત્યાં પડખું ફરવું પણ અશક્ય હતું.
શૌચાલય વિનાની હોટેલો: રહેઠાણની બીજી મોટી સમસ્યા એ હતી કે હોટલોમાં શૌચાલય જ ન હતા. યાત્રીઓએ કડકડતી ઠંડીમાં હોટેલની બહારના જાહેર શૌચાલય પર આધાર રાખવો પડ્યો, જે અત્યંત અસ્વચ્છ હતા અને તેમાં પાણી કે વીજળી ન હતી.
વરિષ્ઠ નાગરિકો સાથે નિર્દયતા: ઊંચાઈ પર ઓક્સિજન ઓછો હોય છે, છતાં કેટલીક હોટલોમાં લિફ્ટ ન હતી. એક કે બે માળ ચઢવા પણ જીવલેણ હતા. ટૂર ઓપરેટરે વરિષ્ઠ નાગરિકોને ગ્રાઉન્ડ ફ્લોર મળે તેવી કોઈ જ વ્યવસ્થા કરી ન હતી.
આસ્થા પર કઠોર પ્રહાર: ધાર્મિક લાગણીઓ સાથે ગંદી રમત
હિંદુઓ કૈલાશ પર્વતની પરિક્રમા માટે અને જૈનો અસ્થાપદની યાત્રા માટે જાય છે. પરંતુ ઈનાયા જર્નીઝ આ મૂળભૂત ધાર્મિક હેતુઓ રોળી નાખવામાં પૂરેપૂરી નિષ્ફળ ગઈ.
અધૂરી રહી પરિક્રમા: કૈલાશ પરિક્રમા 3 દિવસની હોય છે (પહેલા દિવસે 15 કિમી ચાલીને ડીરાપુક, બીજા દિવસે 18 કિમી ચાલીને ઝુથુલપુક અને ત્રીજા દિવસે 6 કિમી ચાલવાનું હોય છે). આ માટે યાત્રીઓ ઘોડા અને કુલીનો ઉપયોગ કરે છે. પરંતુ ટૂર ઓપરેટર એક પણ ઘોડો ન લાવી શક્યો અને કુલીઓ ખૂબ મર્યાદિત હતા. આ વાત યાત્રીઓને મધ્યરાત્રિએ, એટલે કે પરિક્રમા શરૂ થવાના થોડા કલાકો પહેલા જ જણાવાઈ!
મધરાતે ભટકતા યાત્રીઓ: ઓપરેટરે ડીરાપુકમાં ખૂબ મર્યાદિત પથારીઓ રાખી હતી, તેથી ઘણા યાત્રીઓએ અડધી રાત્રે દારચેન પરત ફરવું પડ્યું. દારચેનમાં પણ કોઈ રૂમ બુક ન હોવાથી યાત્રીઓએ મધરાતે બીજી હોટલોમાં ભટકવું પડ્યું. ઝુથુલપુક ખાતે પણ કોઈ રૂમ બુક ન હોવાથી યાત્રીઓએ મજબૂરીમાં ત્રીજા દિવસની પરિક્રમા છોડી દેવી પડી.
માન સરોવરમાં પૂજારી ગાયબ: કાઠમંડુમાં મોટી મોટી વાતો કરી વચન અપાયું હતું કે માન સરોવરમાં પૂજારીની વ્યવસ્થા છે. પરંતુ ત્યાં કોઈ પૂજારી ન હતો અને વિઝાની સમસ્યા નું બહાનું કાઢવામાં આવ્યું. આખરે યાત્રીમાંથી જ એક વ્યક્તિએ પૂજારી બનવું પડ્યું.
અસ્થાપદમાં ફિયાસ્કો: જૈન યાત્રીઓને હોટલની લોબીમાં 2 કલાકથી વધુ રાહ જોવડાવી અને અંતે બહુ ઓછા લોકો અસ્થાપદ જઈ શક્યા.

ચીની પોલીસની એન્ટ્રી અને પાસપોર્ટ જપ્ત કરી યાત્રીઓને બનાવ્યા બંધક
ઓપરેટર દ્વારા અપાતી આવી થર્ડ ક્લાસ સગવડો અને પ્રાથમિક સુવિધાઓના અભાવે આખા ગ્રુપમાં ભયંકર નકારાત્મક વાતાવરણ ઊભું થયું. યાત્રીઓ અને સંચાલક વચ્ચે ઝઘડાઓ થયા અને કંટાળીને યાત્રીઓ ધરણા પર ઉતરી ગયા. મામલો એટલો વણસ્યો કે ચીની પોલીસ અને ચીનમાં ભારતીય દૂતાવાસ (Indian Embassy) ના અધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી.
સૌથી મોટો ગુનો એ હતો કે ટૂર ઓપરેટરે તમામ 185 યાત્રીઓના પાસપોર્ટ પોતાની પાસે જમા કરી લીધા હતા. પારકા દેશમાં પાસપોર્ટ વિના યાત્રીઓને લાગ્યું કે તેમને બંધક (Hostages) બનાવી દેવાયા છે. પાસપોર્ટ તેમની પાસે હોવાથી યાત્રીઓ પાસે ઓપરેટરના તમામ દુર્વ્યવહાર મૂંગા મોઢે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ જ ન બચ્યો.











