પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર અને બોડી બિલ્ડર વરિન્દર સિંહ ઘુમનનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર અને બોડી બિલ્ડર વરિન્દર સિંહ ઘુમનનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ બાઇસેપ્સની નાની ઇજા (Minor Injury) માટે એક માઇનોર ઓપરેશન કરાવવા માટે અમૃતસરની હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં અચાનક તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેમનું નિધન થયું.
વરિન્દરના અકાળ અવસાનથી તેમના ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. તેમની અસાધારણ ફિટનેસને કારણે તેઓ ‘ધ હીમેન ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતા હતા. તેઓ ‘મિસ્ટર ઇન્ડિયા 2009’ રહી ચૂક્યા હતા અને ‘મિસ્ટર એશિયા ચેમ્પિયનશિપ’માં બીજું સ્થાન મેળવ્યું હતું.
ફિટનેસની સાથે વરિન્દર અભિનયનો પણ શોખ ધરાવતા હતા. તેઓ છેલ્લે વર્ષ 2023માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ માં જોવા મળ્યા હતા, જ્યાં તેમની શાનદાર ફિઝિકની ખૂબ પ્રશંસા થઈ હતી.
આ દુઃખદ ઘટના પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે બીજો આઘાત છે. આ ઘટનાના એક દિવસ પહેલા જ પંજાબી સિંગર રાજવીર જવંદાનું 35 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલિયરથી નિધન થયું હતું. વરિન્દરે રાજવીરના નિધન પર ભાંગી પડેલા હૃદય સાથે ‘RIP ભાઈ’ લખીને શોક વ્યક્ત કર્યો હતો. એક દિવસની અંદર બંને કલાકારોના નિધનથી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે.











