5 કરોડની લોન ન ચૂકવતા હાઈકોર્ટે અભિનેતાની 3 મહિનાની કેદ યથાવત્ રાખી; વારંવાર નિવેદનો બદલાતા કોર્ટે વર્તનને શંકાસ્પદ ગણાવ્યું

રાજપાલ યાદવનું વર્તન શંકાસ્પદ ગણાવી અદાલતે જામીન રદ કર્યા
બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવને કાનૂની મોરચે મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે એક જૂના ચેક બાઉન્સ કેસમાં સુનાવણી કરતા અભિનેતાની સજાને બહાલ રાખી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે રાજપાલ યાદવના વલણને “શંકાસ્પદ” ગણાવ્યું હતું અને વારંવાર બદલાતા નિવેદનોને કારણે તેમની સજામાં કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અત્યાર સુધી જામીન પર બહાર રહેલા રાજપાલ યાદવને કોર્ટે ૩ મહિના માટે જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી, જ્યારે રાજપાલ યાદવે ડાયરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે ‘મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ પાસેથી ₹5 કરોડની લોન લીધી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ અને લોનના નાણાં પરત ન ચૂકવવાને કારણે મામલો કોર્ટના પગથિયે પહોંચ્યો હતો.
એપ્રિલ 2018થી ચાલી રહી છે કાનૂની લડાઈ
આ કેસમાં એપ્રિલ 2018 દરમિયાન લોઅર કોર્ટે રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાને દોષિત ઠેરવીને 6 મહિનાની કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ વર્ષ 2019માં સેશન્સ કોર્ટે પણ આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો, જેને રાજપાલ યાદવે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
જૂન 2024માં હાઈકોર્ટે વચગાળાની રાહત આપતા સજા પર સ્ટે લગાવ્યો હતો અને બાકી નીકળતા અંદાજે ₹9 કરોડ ચૂકવવા માટે પ્રામાણિક પ્રયાસો કરવા કહ્યું હતું. પરંતુ ચાલુ વર્ષની 2 ફેબ્રુઆરીએ કોર્ટે નોંધ્યું કે અભિનેતા પૈસા ચૂકવવાના પોતાના વચનો વારંવાર તોડી રહ્યા છે, તેથી તેમને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ (સરન્ડર) કરવાનો આદેશ અપાયો હતો. જેલ જતાં પહેલાં લાચારી વ્યક્ત કરતાં રાજપાલ યાદવે કહ્યું હતું કે, “સર, મારી પાસે પૈસા નથી અને હવે કોઈ રસ્તો બચ્યો નથી.” ત્યારબાદ તેમણે સરન્ડર કર્યું હતું અને તેમને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવાયા હતા.











