ગુજરાત સરકારનો મોટો નિર્ણય! સુપ્રીમ કોર્ટની ટકોર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓને રખડતા શ્વાન શોધવાની અને વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી. ગ્રામ વિકાસ કમિશ્નરે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. જાણો સંપૂર્ણ વિગત.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં સરકારી કર્મચારીઓને તેમના મૂળ કામ સિવાય અન્ય કામગીરી સોંપવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ શિક્ષકોને શિક્ષણ સિવાયના કાર્યો સોંપવા બદલ ઘણો વિરોધ થયો હતો, અને હવે આ યાદીમાં તલાટીઓનો પણ સમાવેશ થયો છે. રાજ્યના ગ્રામ વિકાસ કમિશ્નર દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે ગામડાઓમાં તલાટી મંત્રીઓને રખડતા શ્વાનોને શોધવાની અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિર્ણય સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ આદેશ બાદ લેવામાં આવ્યો છે. દેશભરમાં રખડતા શ્વાનોના હુમલા અને રખડતા પશુઓને કારણે થતા અકસ્માતોની વધતી જતી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને રાજ્યોને આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. આ આદેશના પાલન માટે ગુજરાત સરકારે ગ્રામ્ય કક્ષાએ આ જવાબદારી તલાટીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગ્રામ વિકાસ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે ત્રણ સ્તરીય નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી મંત્રી, તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અધિકારી અને જિલ્લા કક્ષાએ નાયબ નિયામક નોડલ અધિકારી તરીકે ફરજ બજાવશે. આ તમામ અધિકારીઓની વિગતો સરકારી સંસ્થાઓના પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાની રહેશે જેથી સામાન્ય નાગરિકો તેમને સરળતાથી સંપર્ક કરી શકે.
આ ઉપરાંત, પરિપત્રમાં સરકારી સંસ્થાઓને તેમના પરિસરમાં રખડતા શ્વાનોનો પ્રવેશ રોકવા માટે પણ કડક સૂચના અપાઈ છે. સંસ્થાના વહીવટી વડાઓને નોડલ અધિકારીની દેખરેખ હેઠળ 8 અઠવાડિયાની અંદર જરૂરી પગલાં લેવા આદેશ કરાયો છે. આ પગલાંમાં પરિસરની ફરતે વાડ બાંધવી, બાઉન્ડ્રી વોલ બનાવવી અથવા મજબૂત ગેટ લગાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. નોડલ અધિકારીઓની નિમણૂક અંગેનો અંતિમ હુકમ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવશે. આ પગલાંનો મુખ્ય હેતુ રખડતા શ્વાનોના કારણે થતી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.











