ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે.

અમદાવાદ, રવિવાર : અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા વેગવંતી બની છે. અત્યાર સુધીમાં કુલ 31 મૃતદેહોના DNA સેમ્પલ તેમના પરિવારજનોના સેમ્પલ સાથે મેચ થયા છે. આ પૈકી 12 મૃતદેહો તેમના પરિવારોને સન્માનપૂર્વક સુપરત કરવામાં આવ્યા છે.
ડૉ. રજનીશ પટેલ દ્વારા અપડેટ
આ અંગેની જાણકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન આપી હતી. તેમણે જણાવ્યું કે, 12મી જૂને લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું ફ્લાઇટ AI171 મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા મૃતદેહોની ઓળખ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
પરિવારજનોને સપોર્ટ માટે વિશેષ ટીમ
મૃતદેહોની ઓળખ અને સુપરત કરવાની પ્રક્રિયા ખૂબ જ સંવેદનશીલતા સાથે હાથ ધરવામાં આવી રહી છે. જે મૃતદેહોના DNA સેમ્પલ મેચ થયા છે, તેમને સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલગ ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, એક પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે. આ ટીમ પરિવારજનોને આ કપરા સમયમાં જરૂરી સહાય અને કાઉન્સેલિંગ પૂરું પાડી રહી છે.











