ઓડિશાના કટક શહેરમાં દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારે તણાવની સ્થિતિ છે.

ઓડિશાના કટક શહેરમાં દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારે તણાવની સ્થિતિ છે. આ ઘટનાઓમાં ડીસીપી સહિત આઠ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે કટકમાં 24 કલાક માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.વિશ્વ હિન્દુ પરિષદે આ ઘટનાના વિરોધમાં 6 ઓક્ટોબરે કટકમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે 1.30 થી 2.00 વાગ્યાની વચ્ચે આ અથડામણ થઈ હતી. મૂર્તિ વિસર્જન માટે શોભાયાત્રા કાઠજોડી નદી તરફ જઈ રહી હતી, ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેજ અવાજમાં સંગીત વગાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેણે ઝડપથી હિંસક સ્વરૂપ ધારણ કર્યું. કટકના ડીસીપી ઋષિકેશના જણાવ્યા મુજબ, છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો અને કાચની બોટલો ફેંકવામાં આવી, જેમાં અનેક લોકો ઘાયલ થયા.
સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો. હિંસામાં અનેક વાહનો અને સ્ટ્રીટ સ્ટોલને નુકસાન થયું છે.સહાયક ફાયર અધિકારી સંજીવ કુમાર બેહરાએ જણાવ્યું કે ગૌરી શંકર પાર્ક નજીક તોફાનીઓએ 8 થી 10 જગ્યાએ આગચંપી કરી હતી, જેના પર કાબૂ મેળવી લેવાયો છે.પોલીસ કમિશ્નર સુરેશ દેબદત્તા સિંહે જણાવ્યું કે આજે (6 ઓક્ટોબર) એક સંગઠને બાઇક રેલીની મંજૂરી માંગી હતી, જેને કોમી તણાવ વધવાની સંભાવનાને કારણે પોલીસે નકારી કાઢી હતી. આ કારણે પોલીસ સાથે ઝપાઝપી થઈ, જેમાં વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા.
પોલીસ કમિશ્નરે ચાર લોકોના મોતની અફવાઓનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે ઘાયલ થયેલા ચાર લોકોને સામાન્ય ઈજા થઈ હતી, જેમાંથી ત્રણને તે જ દિવસે રજા આપી દેવાઈ હતી અને એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ઓડિશા સરકારે કટકમાં કોઈપણ પ્રકારની અફવાઓને રોકવા માટે તાત્કાલિક અસરથી મોબાઇલ ડેટા અને બ્રોડબેન્ડ સહિત ઇન્ટરનેટ સેવાઓ પર 24 કલાકનો પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.










