રાતા સમુદ્ર અને હોર્મુઝમાં વધતા જોખમને કારણે ભારતીય નિકાસને મોટો ફટકો પડ્યો છે. હ્યુન્ડાઈની 2000 કાર અને 1800 કન્ટેનર ફસાયા. જાણો આ યુદ્ધની ભારત પર શું અસર થઈ રહી છે.

નવી દિલ્હી, બુધવાર
મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે ભારતના વેપાર પર દેખાવા લાગી છે. ખાસ કરીને ઓટોમોબાઈલ અને ટેક્સ્ટાઈલ સેક્ટરને આનો મોટો ફટકો પડી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધતા સમુદ્રી રસ્તાઓ ખૂબ જ જોખમી બની ગયા છે, જેણે ભારતીય નિકાસકારોની ચિંતામાં વધારો કર્યો છે.
હ્યુન્ડાઈની 2000 કાર અધવચ્ચે અટવાઈ
આ ખતરાને કારણે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી છે. ગલ્ફના દેશોમાં નિકાસ માટે મોકલવામાં આવેલી અંદાજે 2000 જેટલી કાર હવે ચેન્નાઈ પોર્ટ પર પાછી લાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ખરેખર, આ ગાડીઓને હંબનટોટા પોર્ટ થઈને મધ્ય-પૂર્વના બજારોમાં પહોંચાડવાની હતી. પરંતુ યુદ્ધના કારણે શિપિંગ કંપનીઓએ પોતાના રસ્તા બદલવા પડ્યા છે.
હોર્મુઝ અને રાતા સમુદ્રમાં વધતો ખતરો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને રાતા સમુદ્ર જેવા મુખ્ય જળમાર્ગો પર જોખમ વધી ગયું છે. આથી શિપિંગ કંપનીઓ હવે આ રસ્તેથી પોતાના જહાજો પસાર કરવાનું ટાળી રહી છે. મળતા આંકડા મુજબ લગભગ 4000 જેટલા કન્ટેનરોને તેમના નિર્ધારિત રસ્તા પરથી પાછા વાળવામાં આવ્યા છે. આમાંથી 1800 કન્ટેનર તો માત્ર ચેન્નાઈ પોર્ટથી જ રવાના કરવામાં આવ્યા હતા.
તમિલનાડુના બંદરો પર કામગીરીને ગંભીર અસર
ગઈ 28 ફેબ્રુઆરીથી યુદ્ધ વધુ ઉગ્ર બનતા તમિલનાડુના વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટની નિકાસ કામગીરી ખોરવાઈ ગઈ છે. સામાન્ય રીતે આ બંદર પરથી કપડાં, ખાવા-પીવાની વસ્તુઓ અને એન્જિનિયરિંગનો સામાન સીધો મધ્ય-પૂર્વમાં મોકલવામાં આવે છે. આ જોખમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તાજેતરમાં 250 કન્ટેનર ભરીને રવાના થયેલા ‘ઝોંગ ગુ તાઈ યુઆન’ નામના જહાજને અધવચ્ચેથી જ પોતાનો રૂટ બદલવો પડ્યો હતો. આ જહાજનો આખો માલ જવાહરલાલ નહેરુ પોર્ટ પર ઉતારવાની ફરજ પડી હતી.
ચેન્નાઈ પોર્ટ પર નવી તૈયારીઓ અને વિકલ્પોની શોધ
આ ગંભીર સ્થિતિને જોતા નિકાસકારો અને પોર્ટના અધિકારીઓ વચ્ચે સતત મીટિંગોનો દોર ચાલી રહ્યો છે. પરત આવતા માલને સાચવવા માટે ચેન્નાઈ પોર્ટ પર 20,000 ચોરસ મીટરની જગ્યાને કામચલાઉ સ્ટોરેજ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.
હાલમાં અધિકારીઓ હોર્મુઝ જળમાર્ગના બદલે અન્ય સુરક્ષિત સમુદ્રી રસ્તાઓ શોધી રહ્યા છે, જેથી ભારતના વેપારને થતું નુકસાન અટકાવી શકાય. જો આગામી દિવસોમાં આ સંઘર્ષ શાંત નહીં થાય, તો ભારતીય વેપારીઓએ અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર નિર્ભર રહેવું પડશે.











