ગાંધીનગરમાં ટ્યુશન ક્લાસીસના નામે મોતનો ખેલ, તંત્ર નિંદ્રામાં, 4 વર્ષથી ફાયર વિભાગ રામ ભરોસે

ગાંધીનગરમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના અભાવે બાળકોના જીવ જોખમમાં છે. કોર્પોરેશનમાં છેલ્લા 4 વર્ષથી કાયમી ફાયર ઓફિસર જ નથી. જાણો તંત્રની આ ભયાનક બેદરકારી વિશે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર… એક એવું શહેર જ્યાંથી આખા ગુજરાત રાજ્યની નીતિઓ અને કાયદાઓ ઘડાય છે. પરંતુ, શું તમે જાણો છો કે આ જ હાઈ-પ્રોફાઈલ શહેરમાં આજે મોતનું એક મોટું સામ્રાજ્ય ખુલ્લેઆમ ચાલી રહ્યું છે?

આજે અમે વાત કરી રહ્યા છીએ એવા ટ્યુશન ક્લાસીસની, જે વાલીઓને તેમના બાળકોનું ભવિષ્ય સુધારવાની મોટી મોટી લાલચો આપે છે. પણ કડવી વાસ્તવિકતા એ છે કે, આ ક્લાસીસમાં ભણતા બાળકો ભવિષ્યની નહીં, પણ મોતની વધુ નજીક બેઠા છે.

લાશો પડે ત્યારે જ તંત્રની ઊંઘ ઊડે છે?
આ બધું જ આપણા સરકારી તંત્ર અને બાબુઓની નાક નીચે થઈ રહ્યું છે. દુઃખની વાત એ છે કે, એસી ચેમ્બરમાં બેઠેલા આ અધિકારીઓની ઊંઘ ત્યારે જ ઊડે છે જ્યારે કોઈ બિલ્ડિંગમાં આગ લાગે અને માસૂમ બાળકોની લાશો બહાર આવે. શું ખુરશી પર બેઠેલા લોકોને બાળકોના જીવ કરતા હપ્તા અને પોતાની પહોંચ વધુ વહાલી થઈ ગઈ છે?

ફાયર વિભાગની ડરામણી વાસ્તવિકતા
તમને જાણીને આંચકો લાગશે કે ગાંધીનગર જેવા વીઆઈપી શહેરની સુરક્ષા કેવી રીતે રામ ભરોસે ચાલી રહી છે. ગાંધીનગર કોર્પોરેશનના ફાયર વિભાગમાં છેલ્લા 4 વર્ષથી કોઈ લાયક અને કાયમી ફાયર ઓફિસરની નિમણૂક જ કરવામાં આવી નથી. આખા શહેરની સુરક્ષાની જવાબદારી હાલમાં ઇન-ચાર્જ અધિકારીના ભરોસે ચાલી રહી છે. અત્યારે ફાયર વિભાગનો ચાર્જ રાજેશ પટેલ પાસે છે, જેઓ ખરેખર માત્ર એક સબ ફાયર ઓફિસર છે.

શું આ છે આપણું ગતિશીલ ગુજરાત
આટલી સંવેદનશીલ અને મહત્વની જગ્યા પર કોઈ કાયમી અને જવાબદાર અધિકારી ન હોવો એ સરકારની કામગીરી પર મોટા સવાલો ઊભા કરે છે. સરકારને એક કાયમી ફાયર ઓફિસરની નિમણૂક કરવાની ફુરસદ જ નથી? સવાલ એ થાય છે કે શું ગાંધીનગર કોર્પોરેશન પાસે એક લાયક માણસ શોધવાનો પણ સમય નથી, કે પછી કોઈ મોટા માથાઓને બચાવવા આ ખુરશી જાણી-જોઈને ખાલી રાખવામાં આવી છે જેથી કોઈ સવાલ જ ન પૂછી શકે?

હવે જાગવાનો સમય આવી ગયો છે
મોટા સાહેબો અને નેતાઓના સંતાનો કદાચ વિદેશમાં કે સુરક્ષિત એસી ચેમ્બરમાં ભણતા હશે, પણ સામાન્ય માણસના દીકરા-દીકરીઓ તો આ મોતના મકાનોમાં જ પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે.

સરકાર અને તંત્રને આ એક ખુલ્લી ચેતવણી છે કે, સાહેબ… હવે જાગવાનો સમય આવી ગયો છે. કાં તો તમે જાતે જાગી જાવ અને નક્કર પગલાં લો, નહિતર જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે ત્યારે આ જનતા રસ્તા પર ઉતરીને તમને જગાડશે, અને ત્યારે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની જશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!