શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાને ૫ થી ૭ ઓક્ટોબર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

મા વૈષ્ણોદેવીના ભક્તો માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી ખરાબ હવામાનની ચેતવણીને પગલે, શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાને ૫ થી ૭ ઓક્ટોબર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
શ્રાઇન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડીઓ પર સ્થિત આ પવિત્ર ગુફાની યાત્રા દરમિયાન કોઈપણ અપ્રિય ઘટના ટાળવા માટે આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
શ્રાઇન બોર્ડે સોશિયલ મીડિયા (X) દ્વારા માહિતી આપી કે, યાત્રા ૮ ઓક્ટોબરથી ફરી શરૂ થશે, પરંતુ ભક્તોને સત્તાવાર માધ્યમો દ્વારા મળતી માહિતી પર સતત ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગયા મહિને (૨૬ ઓગસ્ટ) થયેલા મુશળધાર વરસાદને કારણે વિનાશક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે યાત્રા લગભગ ૨૨ દિવસ સુધી સ્થગિત રહી હતી. તે દુર્ઘટનામાં ૩૪ લોકોના મોત થયા હતા. હાલમાં, નવરાત્રિ દરમિયાન ૧.૭૦ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા, પરંતુ હવે ભક્તોની સુરક્ષા સર્વોપરી ગણી આ નિર્ણય લેવાયો છે.











