રખડતા ઢોર હવે ખેડૂતો માટે મુસીબત નહીં પણ કમાણીનું સાધન બનશે. ઉત્તરાખંડ સરકારની નવી યોજના હેઠળ પશુઓને આશરો આપવા બદલ દર મહિને 12,000 રૂપિયા સુધીની સહાય મળશે. જાણો આ યોજનાની સંપૂર્ણ વિગત.

ઉત્તરાખંડ, સોમવાર
ખેડૂતો માટે હંમેશા રખડતા ઢોર એ ચિંતાનો વિષય હોય છે કારણ કે તે ઉભો પાક બગાડી નાખે છે. પરંતુ હવે આ રખડતા ઢોર ખેડૂતોની કમાણીનું સાધન બનવા જઈ રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે ખેડૂતો માટે એક એવી જોરદાર યોજના બહાર પાડી છે, જેનાથી ખેડૂતોને ડબલ ફાયદો થશે. એક તો ખેતર સુરક્ષિત રહેશે અને બીજું, સરકાર તરફથી આર્થિક મદદ પણ મળશે.
આ સ્કીમ હેઠળ રખડતા પશુઓને સાચવવા બદલ વ્યક્તિ મહિને 12,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. પશુપાલન વિભાગ દ્વારા આ ખાસ પહેલ માત્ર ગ્રામીણ વિસ્તારો માટે શરૂ કરવામાં આવી છે. ચાલો જાણીએ આ યોજનાની વિગતો.
મુખ્ય ઉદ્દેશ્ય: પાક બચાવવો અને પશુઓની સેવા
પિથોરાગઢના મુખ્ય પશુ ચિકિતસા અધિકારી ડો. યોગેશ શર્માના જણાવ્યા મુજબ, આ યોજનાનો મુખ્ય હેતુ રસ્તા પર અને ખેતરોમાં રખડતા નિરાધાર પશુઓને આશરો આપવાનો છે. આનાથી રખડતા ઢોરને રહેવા માટે છત અને ખાવાનું મળશે, તેમજ તેમની તબિયતનું ધ્યાન પણ રખાશે. સાથે જ ખેડૂતોના પાકને થતું નુકસાન પણ અટકાવી શકાશે.
યોજના 1: ગ્રામ ગૌર સેવક યોજના (મહિને 12,000 રૂપિયાની કમાણી)
સરકારે ‘ગ્રામ ગૌર સેવક યોજના’ શરૂ કરી છે. આ યોજનાની ખાસિયતો નીચે મુજબ છે:
કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 5 રખડતા નર પશુઓને આખલાઓને પાળી શકે છે. સરકાર એક પશુ દીઠ દરરોજના 80 રૂપિયા ચૂકવશે. જો કોઈ વ્યક્તિ 5 પશુઓને સાચવે, તો તેને રોજના 400 રૂપિયા અને મહિનાના હિસાબે 12,000 રૂપિયા સરકાર તરફથી મળશે. આ પશુઓની સારવાર અને સ્વાસ્થ્ય તપાસ પશુપાલન વિભાગ દ્વારા મફતમાં કરવામાં આવશે.
યોજના 2: ગૌશાળા યોજના
બીજી યોજનાનું નામ ‘ગૌશાળા યોજના’ છે. જો કોઈ વ્યક્તિ પાસે જગ્યા વધારે હોય અથવા ગૌસદન હોય, તો તેઓ ગમે તેટલી સંખ્યામાં નિરાધાર પશુઓને રાખી શકે છે. આમાં પણ સરકાર પ્રતિ પશુ 80 રૂપિયા લેખે ચુકવણી કરશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં મુનશ્યારી અને બારાવે વિસ્તારમાં બે ગૌશાળાઓ ચાલી રહી છે, જ્યાં કુલ 225 નિરાધાર પશુઓને આશરો અને ભોજન મળી રહ્યું છે.
ગ્રામીણ વિસ્તારો માટે મોટી તક
આ બંને યોજનાઓ હાલ પૂરતી ઉત્તરાખંડના ગ્રામીણ વિસ્તારો માટે અમલમાં મુકવામાં આવી છે. જેનાથી ગામડાના લોકોને રોજગારી પણ મળશે અને રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા પણ હલ થશે. જો આ મોડેલ સફળ રહ્યું તો ભવિષ્યમાં અન્ય રાજ્યો પણ આવી યોજનાઓ વિશે વિચારી શકે છે.











