Green City કે Traffic City? ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ, મહાસંઘે પોલીસ સામે બાંયો ચડાવી

ગાંધીનગરના રસ્તાઓ પર વધતા જતા ટ્રાફિક અને દબાણો સામે વસાહત મહાસંઘ મેદાને. SP ને પત્ર લખીને ગેરકાયદે પાર્કિંગ અને ભારે વાહનો સામે કડક કાર્યવાહીની માંગ કરી. વાંચો અહેવાલ.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતનું પાટનગર ગાંધીનગર, જે તેની શાંતિ અને હરિયાળી માટે જાણીતું છે, તે હવે ધીમે-ધીમે ‘ટ્રાફિક સિટી’માં ફેરવાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હવે માથાનો દુખાવો બની ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ’ હવે એક્શન મોડમાં આવ્યું છે અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે અવાજ ઉઠાવ્યો છે. મહાસંઘે સીધા જ જિલ્લા પોલીસ વડા (SP) ને રજૂઆત કરીને શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટે કડક હાથે કામગીરી કરવાની માંગ કરી છે.

શહેરના મુખ્ય સર્કલો પર ટ્રાફિક સિગ્નલો બંધ
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ પોલીસ વડાને લખેલા પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, શહેરના સૌથી મહત્વના ગણાતા સર્કલો પર જ ટ્રાફિક વ્યવસ્થા ખાડે ગઈ છે. ખાસ કરીને નીચે મુજબના પોઈન્ટ્સ પર સ્થિતિ ખરાબ છે:

  • ચ-3, ધ-3, ધ-5 અને ધ-6 સર્કલ
  • ગ-2 અને ગ-3 સર્કલ

આ તમામ સર્કલો પર અનેક ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે. જેના કારણે વાહનચાલકો અટવાઈ જાય છે. આ ઉપરાંત, સર્કલની આસપાસ જ શટલિયા રિક્ષાવાળાઓ અને લારી-ગલ્લાવાળાઓનો જમાવડો રહેતો હોવાથી રસ્તા સાંકડા થઈ ગયા છે. સવારે અને સાંજે જ્યારે ઓફિસ અને સ્કૂલનો સમય હોય છે, ત્યારે અહીં ભયંકર ટ્રાફિક જામ થાય છે, જેના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

ભારે વાહનોનો ત્રાસ અને અકસ્માતનો ભય
એક તરફ ટ્રાફિકની સમસ્યા છે, તો બીજી તરફ શહેરમાં ચાલી રહેલા વિકાસકામોને કારણે ભારે વાહનોની અવરજવર વધી છે. નિયમ મુજબ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર અમુક પ્રતિબંધો છે, છતાં મોડી રાત્રે અને વહેલી સવારે માટી અને કપચી ભરેલા ડમ્પરો અને ટ્રકો બેરોકટોક દોડતા જોવા મળે છે. ચિંતાની વાત એ છે કે, આ વાહનો ગતિમર્યાદાના તમામ નિયમો નેવે મૂકીને બેફામ રીતે હંકારે છે. જેના કારણે શહેરીજનોમાં અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.

આડેધડ પાર્કિંગથી રસ્તા થયા સાંકડા
શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં પણ પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. સેક્ટર-11 અને પથિકાશ્રમ ડેપો જેવા ભરચક વિસ્તારોમાં શટલિયા રિક્ષાઓ અને લારીઓના દબાણને કારણે મુખ્ય રસ્તાઓ સાંકડા થઈ ગયા છે. ખાસ કરીને ‘ધ-5 થી ચ-5’ સુધીના રોડ પર લોકો આડેધડ પાર્કિંગ કરી દેતા હોવાથી સામાન્ય વાહન વ્યવહારને મોટી અસર થઈ રહી છે. લોકોનો કિંમતી સમય ટ્રાફિકમાં જ વેડફાઈ રહ્યો છે.

પોલીસ તંત્ર જાગશે ખરું?
વસાહત મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે કે, જો પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ દબાણો દૂર કરવામાં નહીં આવે અને બંધ ટ્રાફિક સિગ્નલો ફરી શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા છે. હવે જોવું એ રહ્યું કે મહાસંઘની આ રજૂઆત બાદ પોલીસ તંત્ર ક્યારે જાગે છે અને ‘ગ્રીન સિટી’ના રસ્તાઓને ક્યારે શ્વાસ લેતા કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!