તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સૈયદ નાસિર હુસૈનના શ્રીનગર આગમન પર કર્રા દ્વારા આયોજિત ભોજન સમારોહમાં પણ આ અસંતુષ્ટ નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આ ઘટના દર્શાવે છે કે મતભેદો કયા સ્તરે પહોંચી ગયા છે.

શ્રીનગર, બુધવાર
કોંગ્રેસ માટે મુશ્કેલીઓનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કર્ણાટકમાં ચાલી રહેલા મુખ્યમંત્રી બદલવાના વિવાદ વચ્ચે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ પાર્ટીની અંદર આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે. પ્રદેશ અધ્યક્ષ તારિક હામીદ કર્રા વિરુદ્ધ લગભગ 20 જેટલા વરિષ્ઠ નેતાઓએ મોરચો ખોલ્યો છે અને તેમને પદ પરથી હટાવવાની માંગ સાથે દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના પસંદગીના નેતા કર્રા સામે અસંતોષ
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તારિક હામીદ કર્રાને રાહુલ ગાંધીના પસંદગીના નેતા માનવામાં આવે છે. જોકે, તેમના નેતૃત્વ સામે પાર્ટીના ઘણા સિનિયર નેતાઓએ બળવો પોકાર્યો છે. આ નેતાઓનો આરોપ છે કે કર્રા વરિષ્ઠ નેતાઓને અવગણી રહ્યા છે અને તેમને PDPમાંથી કોંગ્રેસમાં લાવવામાં આવ્યા હોવાથી તેમને પાર્ટીના મુદ્દાઓની પૂરતી સમજ નથી.
20 નેતાઓ ખડગે અને રાહુલ ગાંધીને મળવા દિલ્હી રવાના
તારિક હામીદ કર્રાના વિરોધમાં પૂર્વ ડેપ્યુટી સીએમ તારા ચંદ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિકાર રસૂલ વાની અને સિનિયર લીડર ગુલામ નબી મોંગા સહિત લગભગ 20 મોટા નેતાઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પાસેથી મુલાકાતનો સમય માંગ્યો છે. મનોહર લાલ શર્મા અને મોહમ્મદ અનવર ભટ્ટ પણ દિલ્હી જઈને મુલાકાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ તેમને રાહુલ ગાંધી કે ખડગે તરફથી સમય મળ્યો નથી.
જમ્મુમાં કોંગ્રેસનો કંગાળ દેખાવ બન્યો તણાવનું કારણ
જમ્મુ ક્ષેત્રમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ ન મળ્યા બાદથી પાર્ટીમાં તણાવ ચરમસીમા પર છે. પરંપરાગત રીતે જમ્મુ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ આ વખતે ત્યાં પાર્ટીનો સફાયો થઈ ગયો. જ્યારે કાશ્મીર ખીણમાં પણ કોંગ્રેસને માત્ર અડધો ડઝન સીટો જ મળી શકી. આ નબળા પ્રદર્શનને કારણે પણ પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠી રહ્યા છે અને આંતરિક વિખવાદ વધુ વકર્યો છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ માટે કર્ણાટક બાદ જમ્મુ-કાશ્મીરનો આ આંતરિક કલહ એક નવો પડકાર બનીને સામે આવ્યો છે. જોવાનું રહેશે કે પાર્ટી આ બંને રાજ્યોમાં પોતાની આંતરિક સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવે છે.











