હરિયાણા કેડરના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યાના મામલે રાજ્યના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે.

હરિયાણા કેડરના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યાના મામલે રાજ્યના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક અધિકારીએ પોતાની આઠ પાનાની સુસાઈડ નોટમાં DGP શત્રુજીત સિંહ કપૂર અને રોહતક SSP નરેન્દ્ર બિજારનિયા સહિત 10 વરિષ્ઠ અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
આરોપોમાં જાતિગત ભેદભાવ, જાણી જોઈને માનસિક સતામણી, જાહેર અપમાન અને અત્યાચારનો સમાવેશ થાય છે. આ વિવાદને કારણે DGP શત્રુજીત સિંહ કપૂર અને SSP નરેન્દ્ર બિજારનિયાને અવકાશ (રજા) પર મોકલી દેવામાં આવે તેવી સંભાવના છે. NDTVના અહેવાલ મુજબ, DGPના સ્થાને વરિષ્ઠ અધિકારી ઓ.પી. સિંહને નવા DGP બનાવવામાં આવી શકે છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ DGP કપૂર સાથે મુલાકાત પણ કરી હતી.
દરમિયાન, હરિયાણા સિવિલ સર્વિસ (HCS) એસોસિયેશને રાજ્ય સરકારને પત્ર લખીને તાત્કાલિક FIR નોંધવાની અને નવા ફોજદારી કાયદા હેઠળ પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. એસોસિયેશને ભારપૂર્વક જણાવ્યું છે કે ન્યાયની ખાતરી માટે આરોપી અધિકારીઓને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવા જોઈએ, જેથી તેઓ તપાસને પ્રભાવિત ન કરી શકે.











