ખાખીનો રોફ ભારે પડ્યો! પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર મારનાર અમદાવાદના મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ

અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને બેરેહમીથી માર મારનાર ચાંગોદરના મહિલા PSI સોનલ રાઠોડને SP દ્વારા સસ્પેન્ડ કરાયા છે. જાણો સમગ્ર ઘટના અને ભીનું સંકેલવાના પ્રયાસોની સંપૂર્ણ વિગત.

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદમાં કાયદાનું રક્ષણ કરનાર પોલીસ જ જ્યારે કાયદો હાથમાં લે, ત્યારે સામાન્ય માણસ ક્યાં જાય? આવી જ એક ચોંકાવનારી અને શરમજનક ઘટનામાં આખરે ઉચ્ચ અધિકારીઓએ કડક પગલાં લીધા છે. એક પ્રજ્ઞાચક્ષુ આધેડ વ્યક્તિને ઢોર માર મારવાના ગંભીર આરોપસર ચાંગોદર પોલીસ સ્ટેશનના મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યના SP ઓમ પ્રકાશ જાટે આ માહિતી આપતા જણાવ્યું છે કે, મહિલા અધિકારીએ કરેલી મારામારીની ઘટનાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું હતી મૂળ ઘટના? માત્ર એક ટપલી અને 7 કલાકનો ત્રાસ
આ સમગ્ર વિવાદ એકદમ નાની વાતમાંથી શરૂ થયો હતો. ગોપાલભાઈ દરજી નામના એક પ્રજ્ઞાચક્ષુ આધેડ પોતાનો ગલ્લો ચલાવીને ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા એક બાળકે તેમના ગલ્લે આવીને કોઈ પેકેટ તોડ્યું હોવાની શંકા જતા, ગોપાલભાઈએ તે બાળકને સામાન્ય ટપલી મારી હતી. બસ આટલી વાતમાં ગોપાલભાઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

પોલીસ સ્ટેશનમાં આ અંધ આધેડને 7 કલાક કરતા વધુ સમય સુધી માત્ર એવું કહીને બેસાડી રાખવામાં આવ્યા કે, “બાળકની માતા સમાધાન માટે પોલીસ સ્ટેશન આવી રહી છે, તમારે રાહ જોવી પડશે.”

“ક્યાં છે મારા છોકરાને મારનાર?” કહીને મહિલા PSI એ આતંક મચાવ્યો
કલાકોની લાંબી રાહ જોવડાવ્યા પછી, સાંજ પડતાં ચાંગોદરમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડ (જે પેલા બાળકની માતા છે) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા. આવતાની સાથે જ તેમણે પોલીસ મથકમાં રાડો પાડી કે, “ક્યાં છે મારા છોકરાને મારનાર?”

આટલું કહીને સોનલ રાઠોડે કોઈ પણ જાતની દયા દાખવ્યા વગર પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ પર હુમલો કરી દીધો. તેમણે આધેડને લાફા, લાતો અને લાકડીના ફટકા બેરહમીથી માર્યા હતા. આ ઢોર મારના કારણે ગોપાલભાઈની આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

પોલીસનું શરમજનક વલણ: 24 કલાક સુધી ફરિયાદ ન નોંધાઈ
આશ્ચર્યની વાત એ છે કે, ઘટનાના 24 કલાક વિત્યા પછી પણ યુનિવર્સિટી પોલીસ દ્વારા પીડિત પ્રજ્ઞાચક્ષુ આધેડની કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પોલીસ પોતાના જ વિભાગના કર્મચારીને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

ભીનું સંકેલવાના હવાતિયાં અને કોન્સ્ટેબલની એન્ટ્રી
જ્યારે આ સમગ્ર મામલો મીડિયામાં ઉછળ્યો અને લોકોનો રોષ વધ્યો, ત્યારે મહિલા PSI સોનલ રાઠોડને પોતાની નોકરી પર ખતરો દેખાયો. પોતે મોટા ગુનામાં ફસાયા હોવાનું સમજાતા તેમણે સમાધાન કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

આ માટે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કેદી જાપ્તાની ફરજ બજાવતા કૃણાલ નામના એક કોન્સ્ટેબલને ગોપાલભાઈના ઘરે સમાધાનની વાત કરવા મોકલ્યો હતો અને પોતે ઘરની બહાર ઊભા રહ્યા હતા.

મીડિયાને જોઈને મહિલા PSI ઊભી પૂંછડીએ ભાગ્યા
જ્યારે ગોપાલભાઈને હોસ્પિટલમાંથી રજા મળી અને તેઓ ઘરે આવ્યા, ત્યારે મહિલા PSI સોનલ રાઠોડ જાતે તેમની માફી માંગવા અને સમાધાન કરવા તેમના ઘરમાં પહોંચી ગયા હતા. તેમણે પોતે અંધ આધેડ પર હાથ ઉપાડ્યો હોવાની ભૂલ પણ સ્વીકારી લીધી હતી. પરંતુ, જ્યારે મીડિયાની ટીમે ત્યાં પહોંચીને મહિલા PSI ને સવાલો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા.

આખરે સત્ય બહાર આવતા અને મીડિયાના અહેવાલો બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે. સત્તાના નશામાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પર અત્યાચાર ગુજારનાર મહિલા અધિકારીને સસ્પેન્ડ કરીને પોલીસે એક દાખલો બેસાડ્યો છે. જોકે, આ ઘટનાએ પોલીસની કામગીરી અને સામાન્ય માણસની સુરક્ષા પર અનેક ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!