Ayushman Card Scam: સુરતમાં આયુષ્માન કાર્ડ રિન્યુ કરવાના નામે ગરીબો પાસેથી 4000 રૂપિયા પડાવવાનો આક્ષેપ થયો છે. પૈસા આપો તો 2 કલાકમાં કામ અને ન આપો તો 2 મહિનાની રાહ. જાણો શું છે સમગ્ર મામલો.

સુરત, શુક્રવાર
Ayushman Card Scam: સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન ગણાતી આયુષ્માન ભારત યોજના અત્યારે વિવાદના ઘેરામાં છે. ગરીબોને મફત સારવાર મળે તે હેતુથી શરૂ કરાયેલી આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સુરત પાલિકાના વિપક્ષ દ્વારા આ મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
4000 રૂપિયા આપો અને 2 કલાકમાં કાર્ડ મેળવો
સુરત પાલિકાના વિપક્ષી કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે કે, શહેરમાં આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવાની પ્રક્રિયામાં એજન્ટો અને વચેટિયાઓ સક્રિય થયા છે. આક્ષેપ મુજબ, જે અરજદારો કાર્ડ રિન્યુ કરાવવા આવે છે તેમની પાસે 4000 રૂપિયા જેટલી મોટી રકમ માંગવામાં આવે છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે લોકો આ રકમ ચૂકવે છે તેમનું કાર્ડ માત્ર 2 કલાકમાં એપ્રુવ કરી દેવામાં આવે છે. જ્યારે જે સામાન્ય નાગરિકો પૈસા નથી આપી શકતા, તેમની અરજીઓ 1 થી 2 મહિના સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે અથવા તેમને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે.
વચેટિયાઓ અને કર્મચારીઓની મિલીભગત?
વિપક્ષનું કહેવું છે કે સરકારી વિભાગના અમુક કર્મચારીઓની સંડોવણી વગર આ પ્રકારનું કૌભાંડ શક્ય નથી. એજન્ટો અને કર્મચારીઓની મિલીભગતને કારણે ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, તો તેનાથી ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓ સારવારથી વંચિત રહી જાય છે.
તપાસ અને કડક કાર્યવાહીની માંગ
આ ઘટનાને પગલે વિપક્ષે તાત્કાલિક તપાસની માંગણી કરી છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે:
આ ભ્રષ્ટાચારમાં સામેલ તમામ કર્મચારીઓ અને વચેટિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવે.
કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે જેથી ગરીબોને લૂંટાતા બચાવી શકાય.
આયુષ્માન કાર્ડમાં ચાલતા આ ગોરખધંધાને કારણે સરકારની છબી પણ ખરડાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે મ્યુનિસિપલ કમિશનર આ ગંભીર આક્ષેપો પર કેવા પગલાં લે છે અને ગરીબોને ન્યાય ક્યારે મળે છે.










