વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (કાશી)ના પ્રવાસે છે, જ્યાં તેઓ ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને તેનું ઉદ્ઘાટન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (કાશી)ના પ્રવાસે છે, જ્યાં તેઓ ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને તેનું ઉદ્ઘાટન કરશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યે પૂર્વોત્તર રેલવેના બનારસ સ્ટેશનથી આ ટ્રેનોને રવાના કરશે.
આ નવી વંદે ભારત ટ્રેનો ચાર મહત્વપૂર્ણ રૂટ પર ચાલશે. તેમાં બનારસ – ખજુરાહો વંદે ભારતનો સમાવેશ થાય છે, જે વારાણસી, પ્રયાગરાજ અને ખજુરાહો જેવા દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને જોડશે. બીજી ટ્રેન લખનૌ – સહારનપુર વંદે ભારત છે, જે 7 કલાક અને 45 મિનિટમાં લખનૌ, સીતાપુર, શાહજહાંપુર, બરેલી અને સહારનપુરના મુસાફરોને લાભ આપશે.
ત્રીજી ટ્રેન ફિરોઝપુર – દિલ્હી વંદે ભારત છે, જે આ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન બનીને 6 કલાક અને 40 મિનિટમાં દિલ્હી અને પંજાબના બઠિંડા અને પટિયાલા વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે. જ્યારે દક્ષિણ ભારતમાં એર્નાકુલમ – બેંગલુરુ વંદે ભારત મુસાફરીના સમયમાં બે કલાકથી વધુનો ઘટાડો કરશે અને 8 કલાક અને 40 મિનિટમાં યાત્રા પૂર્ણ કરશે. આ ટ્રેન મુખ્ય આઈટી અને વાણિજ્ય કેન્દ્રોને જોડશે, જેનાથી વ્યાપાર, પર્યટન અને રોજગારની તકોને પ્રોત્સાહન મળશે. વડા પ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.











