જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. રેલવેએ સીમાવર્તી વિસ્તારોમાં ટ્રેન યાત્રા માટે નિયમો કડક કર્યા છે. હવે ID પ્રૂફ વગર મુસાફરી કરવા પર થશે મોટી કાર્યવાહી. જાણો કયા રૂટ પર વધી છે સખ્તાઈ.

અમદાવાદ, સોમવાર
જો તમે નિયમિત રીતે ટ્રેનમાં મુસાફરી કરો છો અથવા આગામી સમયમાં કોઈ લાંબી મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઈએ. ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. ખાસ કરીને જે ટ્રેનો દેશની સીમાઓ (Borders) સાથે જોડાયેલા વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યાં હવે નિયમો વધુ કડક બનાવી દેવામાં આવ્યા છે.
બોર્ડર વિસ્તારોમાં સઘન સુરક્ષા
ભારતીય રેલવેએ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કમર કસી છે. રેલવે મંત્રાલયના નવા આદેશ મુજબ, હવે બાંગ્લાદેશ અને નેપાળની આંતરરાષ્ટ્રીય સરહદોને જોડતા રૂટ પર ચાલતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી કરવી પહેલા જેટલી સરળ નહીં રહે. આ વિસ્તારોમાં હવે મુસાફરોનું ઓળખ પત્ર (ID) વેરિફિકેશન એટલે કે તપાસ ફરજિયાત કરી દેવામાં આવી છે. રેલવેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે જે લોકો ખોટી રીતે કે કોઈ પણ માન્ય ઓળખ પત્ર વગર આરક્ષિત ટિકિટ પર મુસાફરી કરવાનો પ્રયાસ કરશે, તેમના પર લગામ કસવામાં આવશે.
શું છે રેલવેનો નવો આદેશ?
રેલવે બોર્ડ દ્વારા 4 ફેબ્રુઆરી 2026 ના રોજ તમામ ઝોનલ રેલવેને એક પત્ર લખીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ નિયમ મુજબ, જ્યારે તમે રિઝર્વ ક્લાસમાં (જેમ કે સ્લીપર, 3AC વગેરે) મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે ગ્રુપમાંથી ઓછામાં ઓછા એક મુસાફર પાસે અસલ ઓળખ પત્ર હોવું ફરજિયાત છે. જો તપાસ દરમિયાન ગ્રુપના કોઈ પણ સભ્ય પાસે ઓરિજિનલ ID નહીં હોય, તો આખા ગ્રુપને ‘વગર ટિકિટ’ મુસાફરી કરતું માનવામાં આવશે અને રેલવેના નિયમ મુજબ દંડ વસૂલવામાં આવશે.
કયા વિસ્તારોમાં નિયમો લાગુ થશે?
રેલવે બોર્ડે 6 ફેબ્રુઆરી 2026 ના રોજ બહાર પાડેલા સર્ક્યુલરમાં ખાસ તાકીદ કરી છે કે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા વિસ્તારોમાં આ નિયમોનું પાલન કડકાઈથી કરાવવામાં આવે. આમાં મુખ્યત્વે ભારત-નેપાળ અને ભારત-બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલા રેલવે રૂટ્સનો સમાવેશ થાય છે. રેલવેનું માનવું છે કે આ પગલાંથી ગેરકાયદેસર મુસાફરી, નકલી ટિકિટો અને સુરક્ષા સંબંધિત જોખમો પર અંકુશ લાવી શકાશે.
ડિસ્કાઉન્ટ અને કોટાવાળી ટિકિટ પર પણ નજર
રેલવેએ માત્ર સામાન્ય મુસાફરો જ નહીં, પરંતુ કન્શેસન (રાહત) અને સ્પેશિયલ કોટા હેઠળ ટિકિટ બુક કરાવનારાઓ માટે પણ નિયમો સ્પષ્ટ કર્યા છે. જે મુસાફરો સિનિયર સિટીઝન, સ્ટુડન્ટ કે અન્ય કોઈ કોટા હેઠળ ટિકિટ બુક કરાવે છે, તેમણે પોતાની પાત્રતા સાબિત કરતા વેલિડ ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે. જો મુસાફરી દરમિયાન તમે તમારી યોગ્યતા સાબિત નહીં કરી શકો, તો તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
મુસાફરી માટે કયા ID માન્ય ગણાશે?
યાત્રીઓની સુવિધા માટે રેલવેએ માન્ય ઓળખ પત્રોનું લિસ્ટ જાહેર કર્યું છે. રિઝર્વ ટિકિટ પર મુસાફરી કરતી વખતે તમે નીચેનામાંથી કોઈપણ એક Original ID સાથે રાખી શકો છો:
આધાર કાર્ડ (Aadhaar Card)
વોટર ID કાર્ડ (ચૂંટણી કાર્ડ)
પાસપોર્ટ
પાન કાર્ડ (PAN Card)
ડ્રાઈવિંગ લાઈસન્સ
કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ ફોટો ID
માન્યતા પ્રાપ્ત સ્કૂલ/કોલેજનું સ્ટુડન્ટ ID કાર્ડ
રાષ્ટ્રીયકૃત બેંકની ફોટોવાળી પાસબુક
મુસાફરોએ શું ધ્યાન રાખવું?
રેલવેના આ નવા અને કડક વલણને જોતા મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઘરેથી નીકળતી વખતે પોતાનું અસલ ID લેવાનું ન ભૂલે. મોબાઈલમાં ફોટો કે ઝેરોક્ષ બતાવવાથી કામ નહીં ચાલે. ખાસ કરીને જો તમે બોર્ડર વાળા રૂટ પર જઈ રહ્યા છો, તો ચેકિંગ દરમિયાન ID ન હોવા પર દંડ થઈ શકે છે, ટિકિટ રદ થઈ શકે છે અથવા કાયદાકીય મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. સુરક્ષિત અને શાંતિપૂર્ણ મુસાફરી માટે આ નાનકડી પણ મહત્વની બાબતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.











