કાંતારા વિવાદ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રણવીર સિંહે માફીનું એફિડેવિટ અને મંદિરે જઈ માફી માંગવાની તૈયારી દર્શાવી.

મુંબઈ, બુધવાર
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 સાથે જોડાયેલા વિવાદમાં હવે મામલો કર્ણાટક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. કોર્ટમાં થયેલી તાજી સુનાવણી દરમિયાન રણવીર સિંહ તરફથી માફીનું એફિડેવિટ ફાઇલ કરવાની અને ચામુંડી હિલ્સ જઈને માફી માંગવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
આજે 24 March ના રોજ કર્ણાટક હાઈકોર્ટે રણવીર સિંહની તે અરજી પર સુનાવણી કરી, જેમાં તેમણે પોતાની સામે નોંધાયેલી ફરિયાદ અને FIR રદ કરવાની માગ કરી હતી. હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ખાનગી ફરિયાદ અને FIR નોંધાઈ હતી. આરોપ એવો છે કે તેમણે ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 સાથે જોડાયેલા એક દિવ્ય પાત્ર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
કોર્ટમાં શું થયું?
સુનાવણી દરમિયાન રણવીર સિંહના પિતા જગજીત સિંહ ભવનાની કોર્ટમાં હાજર રહ્યા હતા. જસ્ટિસ M. Nagaprasanna ની સિંગલ બેન્ચે સરકારને પૂછ્યું કે વાંધાઓ દાખલ કરવામાં આટલો વિલંબ કેમ થયો. રણવીર સિંહ તરફથી હાજર વરિષ્ઠ વકીલે કોર્ટને કહ્યું કે લાગે છે કે સરકાર તરફથી કોઈ ખાસ વાંધો જ નથી. જોકે ફરિયાદ પક્ષે આ દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે રણવીર સિંહે જે માફી માગી છે તે સાચી લાગતી નથી, પણ માત્ર દેખાવ માટે છે. તેના પર કોર્ટે સવાલ કર્યો કે જો અભિનેતા કોર્ટમાં આવીને માફી માગવા તૈયાર હોય અને એફિડેવિટ પણ ફાઇલ કરવા માંગતો હોય, તો પછી વધુ શું જોઈએ? જોકે કોર્ટએ સાથે જ સ્પષ્ટ કહ્યું કે રણવીરે જે કહ્યું હતું તે યોગ્ય નહોતું.
જાહેર હસ્તીઓ માટે કોર્ટની ટકોર
કર્ણાટક હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી પણ કરી. કોર્ટે કહ્યું કે જાહેર જીવન સાથે જોડાયેલા લોકો પર સમાજની નજર હોય છે અને તેમની વાતોનો સામાન્ય લોકો પર ઊંડો પ્રભાવ પડે છે. તેથી આવા લોકો પાસે સામાજિક જવાબદારી હોવી જ જોઈએ. કોર્ટએ રણવીર સિંહની ટિપ્પણીઓને “અયોગ્ય” ગણાવી અને જણાવ્યું કે આવી બાબતમાં માત્ર સ્પષ્ટતા પૂરતી નથી, પણ પસ્તાવાની ભાવના પણ દેખાવા જોઈએ.
ફરિયાદ પક્ષે શું માગણી કરી?
ફરિયાદ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે રણવીર સિંહે ચામુંડી દૈવ ને રાક્ષસ તરીકે સંબોધ્યા હતા. આ કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે માગ કરી કે:
રણવીર સિંહ મૌખિક રીતે માફી માગે
કોર્ટમાં હાજર રહી માફી આપે
પોતાના વકીલ સાથે ચામુંડી હિલ્સ જઈ ત્યાં પણ માફી માંગે
કોર્ટએ પણ આ મુદ્દે સહમતી બતાવતા કહ્યું કે જો ફરિયાદ પક્ષ આગ્રહ રાખે, તો અભિનેતા કોર્ટમાં આવી માફી માગે તેમાં કોઈ અડચણ નથી.
રણવીર સિંહ તરફથી શું ખાતરી આપવામાં આવી?
રણવીર સિંહના વકીલે કોર્ટને ખાતરી આપી કે માફીનું એફિડેવિટ દાખલ કરવામાં આવશે, રણવીર સિંહ ચામુંડી હિલ્સ ની મુલાકાત લેશે, જરૂરી હોય તો તેઓ વધુ સ્પષ્ટતા કરવા પણ તૈયાર છે, આ દરમિયાન કોર્ટએ કડક શબ્દોમાં કહ્યું, “તમારે ચોક્કસ મંદિર જવું જોઈએ. તમારાથી ભૂલ થઈ છે અને તમારામાં પસ્તાવાની ભાવના હોવી જોઈએ. અભિનેતાઓની સામાન્ય લોકો પર ઊંડી અસર હોય છે.” આ પછી કોર્ટએ કેસની આગામી સુનાવણી 10 April સુધી મુલતવી રાખી.
આખો વિવાદ શું છે?
આ આખો વિવાદ નવેમ્બર 2025 દરમિયાન ગોવામાં યોજાયેલા International Film Festival of India (IFFI) માં સર્જાયો હતો. આક્ષેપ છે કે રણવીર સિંહે મંચ પર પંજુરલી અને ગુલિગા દૈવા ના પવિત્ર હાવભાવની હાંસી ઉડાવી હતી. આ બંને દૈવ ફિલ્મ કાંતારા બાદ દેશભરમાં વધુ જાણીતા બન્યા છે.
વધુ ગંભીર આરોપ એવો પણ છે કે તેમણે ચામુંડી દેવતા ને “મહિલા ભૂત” તરીકે સંબોધ્યા હતા. જ્યારે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચામુંડીને દિવ્ય સ્ત્રી શક્તિ અને રક્ષક દેવી તરીકે માન આપવામાં આવે છે. આ નિવેદનો બાદ તેમની સામે હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ હતી.
રણવીર સિંહે પહેલાં શું કહ્યું હતું?
વિવાદ ઊભો થયા બાદ રણવીર સિંહે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો. તેઓ માત્ર ઋષભ શેટ્ટી ના અભિનયની પ્રશંસા કરવા માગતા હતા અને દરેક સંસ્કૃતિનો સન્માન કરે છે. જોકે, કોર્ટએ આ મામલાને ગંભીર માન્યો છે અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર હસ્તીઓએ શબ્દો વાપરતાં વધુ સાવચેત રહેવું જોઈએ. હાલ માટે સ્પષ્ટ છે કે રણવીર સિંહ કાંતારા વિવાદ હવે માત્ર સોશિયલ મીડિયા ચર્ચા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ કાનૂની અને ધાર્મિક સંવેદનશીલતા બંનેનો મુદ્દો બની ગયો છે. હવે સૌની નજર 10 એપ્રિલની આગામી સુનાવણી પર રહેશે, જ્યાં આગળની કાર્યવાહી વધુ સ્પષ્ટ થશે.











