રણવીર સિંહની સ્પાય એક્શન-થ્રિલર ‘ધુરંધર’એ બોક્સ ઓફિસ પર 150 કરોડનો આંકડો પાર કર્યો છે. જાણો નેટફ્લિક્સ સાથે થયેલી 130 કરોડની રેકોર્ડબ્રેક OTT ડીલ અને ફિલ્મની સફળતા પાછળના કારણો.

મુંબઈ, ગુરૂવાર
રણવીર સિંહ માટે લાંબા સમય બાદ એક મોટી ખુશખબરી આવી છે. તેમની નવી સ્પાય એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે ભારતમાં બોક્સ ઓફિસ પર 150 કરોડથી વધુની કમાણી કરીને રણવીર સિંહને એક મોટી સફળતા અપાવી છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો પણ છે, જેમના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા છે.
OTT પ્લેટફોર્મ પર પણ રેકોર્ડબ્રેક ડીલ
થિયેટરમાં શાનદાર પ્રદર્શનની સાથે સાથે ‘ધુરંધર’એ OTT પ્લેટફોર્મ પર પણ એક નવો ઇતિહાસ રચ્યો છે. મળતી માહિતી મુજબ, નેટફ્લિક્સે ફિલ્મના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદી લીધા છે. આ ડીલની ખાસ વાત એ છે કે નેટફ્લિક્સે ફિલ્મના બંને ભાગો માટે કુલ 130 કરોડ ચૂકવ્યા છે.
બોલીવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, એક ભાગ માટે આ રકમ લગભગ 65 કરોડ થાય છે. હાલના સમયમાં જ્યારે OTT પ્લેટફોર્મ ફિલ્મોના રાઇટ્સ માટે ઓછી કિંમત ચૂકવી રહ્યા છે, ત્યારે ‘ધુરંધર’ને મળેલી આ રકમ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આ ડીલ રણવીર સિંહના કરિયર માટે પણ ખૂબ જ મહત્વની સાબિત થશે.
રણવીર અને સારા અર્જુનની અનોખી કેમેસ્ટ્રી
આ ફિલ્મમાં રણવીર સિંહની જોડી અભિનેત્રી સારા અર્જુન સાથે બનાવવામાં આવી છે, જે તેમનાથી લગભગ 20 વર્ષ નાની છે. સારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર રાજ અર્જુનની દીકરી છે અને બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચૂકી છે. ‘ધુરંધર’માં મુખ્ય અભિનેત્રી તરીકે તેની અને રણવીરની કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
‘ધુરંધર 2’ ક્યારે રિલીઝ થશે?
‘ધુરંધર’ 5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થઈ હતી અને હવે દર્શકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે. આવતા શુક્રવારે ‘ધુરંધર’ની ટક્કર કપિલ શર્માની કોમેડી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરૂ 2’ સાથે થશે. જોકે, ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે કપિલની ફિલ્મની રિલીઝથી ‘ધુરંધર’ની કમાણી પર કોઈ ખાસ અસર નહીં પડે.











