આજના વિશેષ શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રી કષ્ટભંજન દેવને ખાસ વાઘા પહેરાવવામાં આવ્યા છે. સિંહાસનને દેશ-વિદેશની હજારો બહેનોએ મોકલેલી રાખડીઓથી શણગારવામાં આવ્યો છે.

બોટાદ, શુક્રવાર
સાળંગપુરધામ: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત રક્ષાબંધનના પર્વ નિમિત્તે 8 ઓગસ્ટ, 2025ના રોજ શ્રી કષ્ટભંજનદેવને ભક્તો દ્વારા મોકલવામાં આવેલી રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિર ખાતે, સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

હજારો રાખડીઓ અને પત્રો દાદાને અર્પણ કરાયા
આજના વિશેષ શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રી કષ્ટભંજન દેવને ખાસ વાઘા પહેરાવવામાં આવ્યા છે. સિંહાસનને દેશ-વિદેશની હજારો બહેનોએ મોકલેલી રાખડીઓથી શણગારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભક્તોએ દાદાને મોકલેલા પત્રો પણ હનુમાનજીની સામે મૂકવામાં આવ્યા હતા. “મારા દાદાને મારી રાખડી” અભિયાન અંતર્ગત દેશ-વિદેશના ભક્તો દ્વારા મોકલવામાં આવેલી તમામ રાખડીઓ દાદાને અર્પણ કરવામાં આવી હતી. આ દિવ્ય અવસર પર ભક્તોએ રાખડી બાંધીને દાદા પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો.
દેશ-વિદેશમાંથી આવી 35 હજારથી વધુ રાખડીઓ
ભક્તોએ મોકલેલી રાખડીઓ વિવિધ પ્રકારની હતી. જેમાં આર્ટિફિશિયલ, ઉન, મોરપંખ, કોડી, મોતી, સ્ટોન, ફૂલ, શ્રીરામ અને દાદાના ફોટાવાળી રાખડીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના લોગોવાળી રાખડીઓ પણ જોવા મળી હતી. આ ઉપરાંત, ચોખામાંથી બનાવેલી, હનુમાન ચાલીસા લખેલી, અનેક સાઈઝ અને શેપની રાખડીઓ પણ હતી.

આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુબઈ અને UAE જેવા દેશોમાંથી પણ બહેનોએ દાદા માટે રાખડીઓ મોકલી છે. કુલ મળીને 30થી 35 હજારથી વધુ રાખડીઓ આવી છે, જેમાં સોના-ચાંદીની રાખડીઓ પણ સામેલ છે.











