અભિનેત્રી સિમી ગ્રેવાલએ સોશિયલ મીડિયા પર એક અનોખી પોસ્ટ લખીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.

અભિનેત્રી સિમી ગ્રેવાલએ સોશિયલ મીડિયા પર એક અનોખી પોસ્ટ લખીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. તેમણે રાવણના વખાણ કરતો એક લાંબો સંદેશ લખ્યો, જોકે, ભારે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.પોતાની પોસ્ટમાં સિમી ગ્રેવાલએ દશેરાની શુભેચ્છાઓ આપતા ‘ડિયર રાવણ’ લખીને સંબોધન કર્યું હતું. તેમણે લખ્યું, “તકનીકી રીતે, તમારા વર્તનને દુષ્ટતાને બદલે થોડું તોફાની ગણવું જોઈએ. આખરે, તમે કર્યું જ શું હતું?”
અભિનેત્રીએ દલીલ કરી કે રાવણે સીતાજીનું અપહરણ ભલે કર્યું, પરંતુ ત્યાર પછી તેણે તેમને આજના યુગમાં મહિલાઓને મળતા સન્માન કરતાં વધુ સન્માન આપ્યું. તેમણે કહ્યું કે રાવણે સીતાજીને રહેવા માટે સારી જગ્યા, સારું ભોજન અને મહિલા સુરક્ષા ગાર્ડ પણ આપ્યા. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે રાવણનો લગ્નનો પ્રસ્તાવ પૂરી નમ્રતાથી ભરેલો હતો અને પ્રસ્તાવ નકારાતાં તેણે ક્યારેય એસિડ ફેંક્યો નહીં.
સિમી ગ્રેવાલએ રાવણને સમજદાર અને શિક્ષિત ગણાવ્યા અને કહ્યું કે તે “આપણી અડધી સંસદ કરતાં વધુ ભણેલો હતો.” તેમણે કહ્યું કે તેમને રાવણને બાળવાની ઇચ્છા થતી નથી.
આ અસામાન્ય પોસ્ટ ઝડપથી વાયરલ થઈ, જેના કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે ટ્રોલ થવું પડ્યું. જોકે, કેટલાક લોકોએ આને તેમની રચનાત્મક વિચારસરણી ગણાવી. ભારે વિવાદ બાદ, અભિનેત્રીએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.











