ભારતીય લોકો કોઈની સામે અપમાન સ્વીકારશે નહીં અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફ નિષ્ફળ જશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ ગુરુવારે કહ્યું કે ભારતીય લોકો કોઈની સામે અપમાન સ્વીકારશે નહીં અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફ નિષ્ફળ જશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “હું પીએમ મોદીને જાણું છું, તેઓ ક્યારેય આવા પગલાં (અપમાનજનક) નહીં લે.” પુતિને ભારત અને ચીનને ‘સ્વાભિમાની’ દેશ ગણાવ્યા.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો છે, જેના કારણે ભારત પર કુલ 50 ટકા અમેરિકી ટેરિફ લાગુ થઈ રહ્યો છે. આ હોવા છતાં, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના નાગરિકોના હિતોની રક્ષા માટે રશિયન તેલની ખરીદી ચાલુ રાખશે.
વાલ્દાઈ ક્લબમાં એક કાર્યક્રમ દરમિયાન પુતિને યુરોપીય નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે યુરોપીય નેતાઓ ‘યુદ્ધ ઉન્માદ’ ફેલાવી રહ્યા છે અને NATO દ્વારા રશિયા પર આક્રમણની ખોટી આશંકાઓ ઊભી કરી રહ્યા છે. તેમણે આને ‘હવામાંથી કાઢેલી બકવાસ’ ગણાવી.
પુતિને સ્પષ્ટ કર્યું કે રશિયાનો અમેરિકી નેતૃત્વવાળા NATO પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ જો યુરોપ ઉશ્કેરણી કરશે તો રશિયાનો જવાબ ‘કડક અને નિર્ણાયક’ હશે. તેમણે એ પણ જણાવ્યું કે રશિયાએ 2 વાર NATO માં સામેલ થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નકારવામાં આવ્યો હતો. પુતિને યુરોપના વધતા સૈન્યીકરણ પર રશિયાની નજર હોવાની ચેતવણી આપી.











