બહિયલમાં ગરબા રમતા ખેલૈયાઓ પર પથ્થરમારો, સોશિયલ મીડિયા પોસ્ટથી મામલો બીચક્યો; પોલીસ પર પણ હુમલો

ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં ત્રીજા નોરતે ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ. સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયેલા પથ્થરમારા અને આગચંપીમાં પોલીસ વાહનો સહિત 25થી વધુ ગાડીઓને નુકસાન. જાણો સમગ્ર ઘટના.

દહેગામ, ગુરૂવાર
નવરાત્રિના પાવન પર્વમાં જ્યાં આખું ગુજરાત ગરબાના તાલે ઝૂમી રહ્યું છે, ત્યાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે વાતાવરણ તંગ બની ગયું હતું. ગરબાના આયોજન દરમિયાન બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણમાં પરિણમ્યો હતો, જેના પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

સોશિયલ મીડિયા સ્ટેટસ બન્યું વિવાદનું કારણ?
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આ સમગ્ર બબાલની શરૂઆત એક સોશિયલ મીડિયા સ્ટેટસને કારણે થઈ હતી. એક સામાન્ય લાગતી બાબતે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બે જૂથો સામસામે આવી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા, ત્યારે અચાનક 3 બાજુથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ હુમલામાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી.

પોલીસ કાફલા પર હુમલો અને વાહનોમાં તોડફોડ
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક બહિયલ ગામે પહોંચ્યો હતો. પરંતુ, પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહેલી પોલીસને પણ ટોળાના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને તેમના વાહનોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં પોલીસના 6 જેટલા વાહનોના કાચ તૂટી ગયા હતા. આ ઉપરાંત, ગરબા સ્થળે પાર્ક કરેલી 25 જેટલી ખાનગી ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને કેટલીક દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.

સ્થિતિને કાબૂમાં લેવા ટીયરગેસનો ઉપયોગ
પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને પોલીસે ટોળાને વિખેરવા માટે 5 જેટલા ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા બાદ મોડી રાત્રે મામલો શાંત પડ્યો હતો. હાલમાં, ગામમાં તંગદિલીભરી શાંતિ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે હિંસા ફેલાવનારા તત્વોને ઓળખી કાઢવા અને તેમની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!