શ્રી કૃષ્ણએ સ્થાપ્યું હતું ભારતનું આ અનોખું કુબેર મંદિર, મૂર્તિની નાભિ પર ‘અત્તર’ લગાવતા જ ખુલી જાય છે કિસ્મત!

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ પ્રાચીન કુબેર મંદિર વિશે જાણો, જેની સ્થાપના શ્રી કૃષ્ણએ કરી હોવાની માન્યતા છે. ધનતેરસ પર અહીં મૂર્તિની નાભિ પર અત્તર લગાવવાથી સમૃદ્ધિ મળે છે.

મધ્યપ્રદેશ, બુધવાર
દિવાળીનો તહેવાર નજીક છે અને બે દિવસ પહેલા આવતી ધનતેરસ પર ધનના દેવતા કુબેરની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું દુર્લભ કુબેર મંદિર છે, જ્યાં ભગવાન કુબેરની મૂર્તિની નાભિ (પેટ) પર અત્તર લગાવવાથી સમૃદ્ધિના આશીર્વાદ મળે છે?

આ અનોખું અને પ્રાચીન મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે.

ક્યાં આવેલું છે આ મંદિર?
વાત જાણીતી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ઉજ્જૈનના મંગલનાથ રોડ પર સ્થિત મહર્ષિ સાંદીપનિના આશ્રમમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. આ જ આશ્રમ સંકુલમાં કુંડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે (જે 84 મહાદેવોમાં 40મું ગણાય છે). આ મંદિરના ગર્ભગૃહમાં જ ધનકુબેરની આ પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે. મંદિરની છત પણ શ્રીયંત્રના આકારમાં બનેલી છે, જે અનોખી છે.

નાભિ પર કેમ લગાવાય છે અત્તર?
સ્થાનિક માન્યતા અનુસાર, ધનતેરસના શુભ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવાથી અને ખાસ કરીને તેમની મૂર્તિની નાભિ પર અત્તર (પરફ્યુમ) લગાવવાથી પરિવારમાં આખું વર્ષ સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ધનની કમી આવતી નથી. આ જ કારણ છે કે ધનતેરસ પર અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. માત્ર દર્શન કરવાથી જ ધનની પ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધા છે.

ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી કથા
મંદિરના પુજારીઓના કહેવા મુજબ, આ મૂર્તિની સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી. કથા એવી છે કે જ્યારે શ્રી કૃષ્ણ પોતાનો અભ્યાસ પૂરો કરીને દ્વારકા જવા નીકળ્યા, ત્યારે કુબેર દેવ ગુરુ દક્ષિણા રૂપે ધન લઈને આવ્યા હતા. પરંતુ, ગુરુ સાંદીપનિ અને તેમનાં પત્નીએ ધનને બદલે રાક્ષસ શંખાસુર દ્વારા અપહરણ કરાયેલા પોતાના પુત્રને પાછો લાવવાની માંગ કરી. ભગવાને ગુરુપુત્રને મુક્ત કરાવ્યો અને ગુરુ-માતાને સોંપ્યો. આ ઘટના પછી, કુબેર દેવ આ જ આશ્રમમાં રહી ગયા. એટલે જ અહીં કુબેરની મૂર્તિ બેઠેલી મુદ્રામાં જોવા મળે છે.

કેટલી જૂની છે આ મૂર્તિ?
આ મૂર્તિ ખૂબ જ પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે તે શાંગુ કાળની છે અને આશરે 800 થી 1100 વર્ષ જૂની હોઈ શકે છે. તેને બેસાલ્ટ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આશરે 3.5 ફૂટ ઊંચી આ પ્રતિમાને ચાર હાથ છે, જેમાં ધન, સોમ પાત્ર અને એક હાથ આશીર્વાદની મુદ્રામાં છે. પુજારીઓનો દાવો છે કે કુબેર દેવની આવી પ્રાચીન મૂર્તિઓ દેશમાં માત્ર ત્રણ જ જગ્યાએ છે: એક ઉત્તરમાં, એક દક્ષિણમાં અને ત્રીજી મધ્ય ભારતમાં એટલે કે ઉજ્જૈનમાં.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!