ભારતીય ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે તેમના જ દેશમાં સખત ટીકા થઈ રહી છે.

ભારતીય ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે તેમના જ દેશમાં સખત ટીકા થઈ રહી છે. અનેક અમેરિકી સાંસદો અને નિષ્ણાતોએ ટ્રમ્પના આ પગલાને અમેરિકા માટે આત્મઘાતી ગણાવ્યું છે.
આ દરમિયાન, અમેરિકી સાંસદોના એક જૂથે ટ્રમ્પને ભારત સાથેના બગડેલા સંબંધો તાત્કાલિક સુધારવા માટે એકસૂરમાં અપીલ કરી છે. સાંસદો ડેબોરાહ રોસ અને રો ખન્નાના નેતૃત્વમાં 19 સાંસદોના એક જૂથે વ્હાઇટ હાઉસને એક પત્ર લખીને ભારત પર લગાવવામાં આવેલા ટેરિફને પાછો ખેંચી લેવાની વિનંતી કરી છે.
પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉત્પાદનો પર વધેલા ટેક્સને કારણે બંને દેશોના સંબંધોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે, જેની ખરાબ અસર અમેરિકાના લોકો અને કંપનીઓ પર પણ પડી રહી છે. સાંસદોએ ઓગસ્ટ 2025માં ટ્રમ્પ સરકાર દ્વારા લગાવવામાં આવેલા 50 ટકા ટેક્સનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ દંડાત્મક પગલાં બંને દેશોના વેપારને નુકસાન પહોંચાડી રહ્યા છે. સાંસદોના મતે, આ ટેક્સ યુ.એસ.ની નીતિઓ અને વ્યૂહાત્મક ભાગીદારીના હિતોથી વિરુદ્ધ છે.











