ચોમાસા પહેલા રસ્તાઓનું સમારકામ શા માટે ન કરાયું? AMCએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રોડ-રસ્તાઓનું કામ સતત ચાલું જ રહે છે, પરંતુ વધુ પડતા ટ્રાફિકને કારણે ઘણીવાર ખાડા પડી જતા હોય છે.

અમદાવાદ, શનિવાર
અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન, અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓના માળખાકીય સુધારા અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આકરા સવાલ કર્યા હતા. કોર્ટે જણાવ્યું કે શહેરમાં ચોમાસા દરમિયાન પણ ઠેર ઠેર ખાડા જોવા મળે છે, તો ચોમાસા પહેલા રસ્તાઓનું સમારકામ શા માટે ન કરાયું? AMCએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રોડ-રસ્તાઓનું કામ સતત ચાલું જ રહે છે, પરંતુ વધુ પડતા ટ્રાફિકને કારણે ઘણીવાર ખાડા પડી જતા હોય છે.
AMCના દાવા અને વાસ્તવિકતા
AMC દ્વારા કોર્ટ સમક્ષ શહેરના રોડ-રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે લેવાયેલા પગલાં અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. AMCએ સ્વીકાર્યું કે અમદાવાદના 29 જંક્શનમાં સુધારાની જરૂર છે, જેમાંથી 15 જંક્શન સુધારી દેવામાં આવ્યા છે. વધુમાં, જ્યાં રાહદારીઓની અવરજવર વધુ હોય તેવા સ્થળોને પણ ઓળખી કાઢવામાં આવ્યા છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ અટકાવવા માટે રોડ વચ્ચેના ડિવાઇડરમાં કટ પણ બંધ કરવામાં આવ્યા છે. AMCએ એમ પણ જણાવ્યું કે શહેરમાં 9 જેટલા આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં એરપોર્ટથી ગાંધીનગર સુધીનો એક રોડ પણ સામેલ છે. રાહદારીઓની વધુ અવરજવર નોંધાઈ હોય તેવા 9 રોડ પર 9 ફૂટના ઓવરબ્રિજ બનાવવાની પણ યોજના છે, જેમાંથી એક કેમ્પ હનુમાનજી મંદિર પાસે અને બીજો શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જંકશન પર બનશે.
હાઈકોર્ટની ટકોર અને ભવિષ્યનું આયોજન
કોર્પોરેશન દ્વારા કરાયેલા આ મોટા દાવાઓ વચ્ચે હાઈકોર્ટે AMCને ટકોર કરતા જણાવ્યું કે સત્તાવાળાઓએ આગામી 5 થી 10 વર્ષના આયોજન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જોકે, AMC તરફથી જણાવાયું કે રોડ-રસ્તાઓ માટે AMC પાસે 1200 કરોડનું બજેટ છે અને લગભગ 550 કિલોમીટરના નવા રોડ બનાવવા અને રસ્તાઓ પહોળા કરવાનું આયોજન છે.











