હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક બસ દુર્ઘટના બની, જેમાં ‘જાકો રાખે સાંઈયાં, માર સકે ન કોઈ’ કહેવત સાચી ઠરી છે.

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક બસ દુર્ઘટના બની, જેમાં ‘જાકો રાખે સાંઈયાં, માર સકે ન કોઈ’ કહેવત સાચી ઠરી છે. ઝંડૂતા ઉપમંડળના ભલ્લૂ પુલ પાસે મરોતમ-કલૌલ રૂટ પર ચાલતી ખાનગી બસ ‘સંતોષી’ પર પહાડી પરથી ભારે કાટમાળ અને પથ્થરો ધસી પડતાં, 15 મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
જોકે, મોતની આ ભયાવહ ઘટનામાં બે નાનકડાં જીવન એવા હતા, જેને જાણે ભગવાને પોતાની હથેળી પર બેસાડીને બચાવી લીધા. બસ પર પહાડનો કાટમાળ પડતાં કોઈને સંભાળવાનો મોકો પણ ન મળ્યો. અકસ્માત સમયે બસમાં આશરે 25 થી 30 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
ચમત્કારિક રીતે બચી ગયા બે માસૂમ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ભારે ધડાકાનો અવાજ આવ્યો અને જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે બસ સંપૂર્ણપણે કાટમાળમાં દટાઈ ગઈ હતી. સ્થાનિકો અને બચાવ ટીમે અથાગ પ્રયાસો કરીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.
બચાવ કાર્ય દરમિયાન એક એવું દૃશ્ય સામે આવ્યું, જેણે સૌની આંખો ભીની કરી દીધી. મલબાની વચ્ચેથી એક બાળક સહી-સલામત મળી આવ્યો. થોડી જ વારમાં વધુ એક બાળકીને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવી. કહેવાય છે કે કાટમાળ પડતી વખતે આ બંને માસૂમ બાળકો બસની સીટો નીચે ફસાઈ ગયા હતા, જેના કારણે તેઓ મલબાની સીધી ઈજાથી બચી ગયા હતા. લોકો આ ઘટનાને કોઈ ચમત્કારથી ઓછો નથી માની રહ્યા.











