સાવરદા પુલિયા પાસે LPG સિલિન્ડર લઈ જઈ રહેલા એક ટ્રકને અન્ય એક ટ્રક સાથે ટક્કર થતાં ભીષણ આગ લાગી હતી.

જયપુર ગ્રામીણ વિસ્તારમાં મંગળવારે રાત્રે એક મોટો અને ભયાનક અકસ્માત થયો હતો. જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મૌજમાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરદા પુલિયા પાસે LPG સિલિન્ડર લઈ જઈ રહેલા એક ટ્રકને અન્ય એક ટ્રક સાથે ટક્કર થતાં ભીષણ આગ લાગી હતી.
ટક્કર બાદ આગે જોતજોતામાં આખા ટ્રકને પોતાની ઝપેટમાં લઈ લીધો, જેના કારણે ગેસ સિલિન્ડરોમાં ધડાકાઓ થવા લાગ્યા. આ ધમાકાઓ એટલા જોરદાર હતા કે તેની અવાજ દૂર દૂર સુધી સંભળાતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટનું દૃશ્ય કોઈ મોટા બોમ્બ ફાટતા હોય તેવું ભયાનક હતું. આગના કારણે નજીકના કેટલાક વાહનોને પણ અસર થઈ હતી.
અકસ્માતની ગંભીરતાને જોતાં જયપુર-અજમેર હાઇવે પર ટ્રાફિક રોકી દેવાયો હતો. મુખ્યમંત્રીના નિર્દેશ પર નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે ટ્રકના ડ્રાઇવર અને હેલ્પર લાપતા છે, જેમની શોધખોળ પોલીસ કરી રહી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ અકસ્માતમાં કોઈના હતાહત થવાના સમાચાર નથી. ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું.











