અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ગુરુવાર, ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ગુરુવાર, ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા.
સુલક્ષણા પંડિતે ૭૦ના દાયકામાં સંગીત અને અભિનય બંને ક્ષેત્રે સફળતા મેળવી હતી. સંગીતકાર જતિન-લલિતની બહેન અને પંડિત જસરાજની ભત્રીજી, સુલક્ષણાએ માત્ર ૯ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તેમને ૧૯૭૫ની ફિલ્મ ‘સંકલ્પ’ના ગીત ‘તૂ હી સાગર હૈ તૂ હી કિનારા’ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.અભિનયમાં, તેમણે સંજીવ કુમાર સાથે ફિલ્મ ‘ઉલઝન’ (૧૯૭૫) થી શરૂઆત કરી અને રાજેશ ખન્ના, શશી કપૂર, જીતેન્દ્ર જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. તેમનું અંગત જીવન દુઃખદ રહ્યું હતું. એક્ટર સંજીવ કુમાર પ્રત્યેના તેમના એકતરફી પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા.
કારકિર્દીના ઉત્તરાર્ધમાં, શારીરિક નબળાઈ અને બાથરૂમમાં પડી જવાથી હિપમાં થયેલી ગંભીર ઈજા (જેના માટે ચાર સર્જરી કરાવવી પડી હતી) ને કારણે તેઓ જાહેર જીવનથી દૂર થઈ ગયા હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ છે.











