ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર S-400 એર ડિફેન્સ સિસ્ટમ પર ભારતીય સેનાનો ભરોસો વધુ મજબૂત થયો છે

ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર S-400 એર ડિફેન્સ સિસ્ટમ પર ભારતીય સેનાનો ભરોસો વધુ મજબૂત થયો છે. આ મામલાથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આ અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમની નવી બેચ ખરીદવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ડિસેમ્બરમાં થનારી ભારત મુલાકાત દરમિયાન આ સંરક્ષણ પ્રણાલીની ખરીદી અંગે વાતચીત થઈ શકે છે. જોકે, સૂત્રોએ સંકેત આપ્યો છે કે ભારત S-400ના વધુ એડવાન્સ વર્ઝન S-500 ને ખરીદવા પર પણ વિચાર કરી શકે છે.
વાયુસેના પ્રમુખ એર માર્શલ એ.પી. સિંહે પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત નવી S-400 સિસ્ટમ્સ ખરીદવાનું વિચારી રહ્યું છે? ત્યારે તેમણે સીધો જવાબ ટાળતા કહ્યું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન, દેખીતી રીતે, અમને તેનાથી સારું પરિણામ મળ્યું છે. તેથી, અમને આવી વધુ સિસ્ટમ્સની જરૂર છે.” તેમણે ઉમેર્યું કે, “આ એક શ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમ સાબિત થઈ છે. અમારી સ્વદેશી પ્રણાલી પણ વિકસિત થઈ રહી છે. તેથી આ અંગે જલદી જ નિર્ણય લેવામાં આવશે.”











