ભારતીય ઓલમ્પિક સંઘએ 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ઔપચારિક મંજૂરી આપી છે. આ બોલીમાં ગુજરાતનું અમદાવાદ મુખ્ય દાવેદાર શહેર તરીકે સામેલ છે. વધુ જાણકારી માટે વાંચો.

અમદાવાદ, ગુરૂવાર
ભારતીય ઓલમ્પિક સંઘ (IOA) એ 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બોલી લગાવવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય 13 ઓગસ્ટના રોજ એક વિશેષ સામાન્ય બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેમાં સર્વસંમતિથી આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો. હવે ભારતને 31 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા પોતાની બોલીનો પ્રસ્તાવ સબમિટ કરવો પડશે.
અમદાવાદ બની શકે છે યજમાન શહેર
2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતે ગુજરાતના અમદાવાદ શહેરને મુખ્ય સંભવિત યજમાન શહેર તરીકે પસંદ કર્યું છે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ડૈરેન હોલના નેતૃત્વમાં એક ટીમે અમદાવાદનો પ્રવાસ કર્યો હતો અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી. જોકે IOAના પ્રમુખ પી ટી ઉષાએ સ્પષ્ટતા કરી કે અમદાવાદની સાથે સાથે 2010માં ગેમ્સની યજમાની કરનાર દિલ્હી અને ભુવનેશ્વરને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, “અમે હજી એવું નથી કહી શકતા કે અમદાવાદ જ ફાઇનલ યજમાન શહેર છે, કારણ કે દિલ્હી અને ભુવનેશ્વરમાં પણ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે.”
પહેલાં પણ ભારત કરી ચૂક્યું છે યજમાની
ભારત અગાઉ 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યું છે. તે વખતે ભારતે કુલ 101 મેડલ જીતીને મેડલ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું, જેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 2030ના ગેમ્સ માટેના યજમાન શહેરનો અંતિમ નિર્ણય આ વર્ષના અંતમાં નવેમ્બરમાં ગ્લાસગોમાં યોજાનારી સામાન્ય સભામાં લેવામાં આવશે.
પી ટી ઉષાએ આશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, જો ભારતને 2030ની ગેમ્સની યજમાની મળે તો તેમાં તમામ રમતોનો સમાવેશ કરવામાં આવશે, જે 2026માં ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ કરતાં વધુ હશે. આ નિર્ણય ભારતમાં સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.











