નવી દિલ્હીમાં PM મોદી અને જાપાનના પહેલાં મહિલા વડાપ્રધાન સાનાએ તાકાઇચી વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ. PM મોદીએ તેમને પોતાની ‘નાની બહેન’ ગણાવ્યા. જાણો AI અને સેમિકન્ડક્ટર ડીલ વિશે.

નવી દિલ્હી, ગુરુવાર
નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોનો એક નવો અને મજબૂત અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા યોજાઈ હતી, જ્યાં બંને દેશો વચ્ચે સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ મુલાકાત માત્ર રાજકીય જ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ ખૂબ જ ખાસ રહી હતી.
PM મોદીએ સાનાએ તાકાઇચીને કહ્યા ‘નાની બહેન’
આ ઐતિહાસિક પ્રસંગે પીએમ મોદીએ જાપાની પીએમ સાનાએ તાકાઇચીને પોતાની ‘ખૂબસૂરત નાની બહેન’ કહીને સંબોધ્યા હતા. તેમના ઔપચારિક સ્વાગત વેળાએ પીએમ મોદીએ કહ્યું, “ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે જાપાનના પ્રથમ મહિલા પીએમ સાનાએ તાકાઇચીની આ પહેલી ભારત મુલાકાત છે અને તેમનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. તેઓ એક લોકપ્રિય અને વિઝનરી નેતા છે. તેઓ જાપાનના નારા પ્રીફેક્ચરમાંથી આવે છે, જે ભારત અને જાપાન વચ્ચે સાચા બૌદ્ધ વારસાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.”
AI અને ડિફેન્સ પર થઈ ઐતિહાસિક ડીલ
પીએમ મોદીએ તાજેતરમાં યોજાયેલી G7 સમિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આજના વૈશ્વિક ઉથલપાથલના માહોલમાં ‘આપસી વિશ્વાસ’ એ આપણી સૌથી મોટી રણનીતિક સંપત્તિ છે. ભારત અને જાપાનની ભાગીદારી આ કસોટી પર એકદમ ખરી ઉતરી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ : બંને નેતાઓ માને છે કે ટેક્નોલોજી પાર્ટનરશિપ આપણા સહયોગનો સૌથી મજબૂત સ્તંભ બનશે. આ માટે AI ક્ષેત્રે એક ખાસ જોઈન્ટ સ્ટેટમેન્ટ (સંયુક્ત નિવેદન) બહાર પાડવામાં આવ્યું છે. જાપાનની સચોટ હાર્ડવેર ટેક્નોલોજી અને ભારતની પાવરફુલ સોફ્ટવેર ક્ષમતાનું મિલન વૈશ્વિક AI વિકાસને એક નવી ગતિ આપશે.
સંરક્ષણ : ડિફેન્સ ક્ષેત્રે પણ બંને દેશોએ મોટી સિદ્ધિ મેળવતા પોતાના પહેલા કો-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ઐતિહાસિક એગ્રીમેન્ટ કર્યા છે.
સેમિકન્ડક્ટર અને સપ્લાય ચેન પર પણ ફોકસ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે આ શિખર બેઠક બંને દેશોના વિશ્વાસ અને રણનીતિક સંબંધોને નવી ગતિ આપવા માટે યોજાઈ હતી. વાર્તાલાપ દરમિયાન સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ફાર્મા, ઉભરતી નવી ટેક્નોલોજીઓ અને એક મજબૂત ગ્લોબલ સપ્લાય ચેન વિકસાવવા પર ઊંડી ચર્ચા થઈ હતી.
3 દિવસના ભારત પ્રવાસે છે જાપાની PM
જાપાની પીએમ સાનાએ તાકાઇચી 1 થી 3 જુલાઈ સુધી 3 દિવસીય ભારતની સત્તાવાર મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે, જ્યાં બંને દેશો પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર રણનીતિ ઘડશે.
આ ઉપરાંત, તેઓ ‘ભારત-જાપાન બિઝનેસ ફોરમ’ માં પણ સામેલ થશે. આ મંચ પર બંને દેશોના ઉદ્યોગ જગત અને સરકારના પ્રતિનિધિઓ વેપાર અને ઔદ્યોગિક રોકાણ વધારવા પર સીધી ચર્ચા કરશે.











